Pages

Friday, January 22, 2010

શું ભગવાન ઊંઘે છે?ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ

*ભગવાન કદી ઉંઘે ખરો?ભગવાન ઉંઘે તો જગત ચાલે ખરું?શું ભગવાન કોઈ વ્યક્તિ છે?માણસે ભગવાન વિષે કલ્પના કરી સુંદર માણસ જેવા ભગવાન બનાવી દીધા.જરા વધારે સુંદર ,વધારે બળવાન.માણસ જે જે નકરી શકે,શારીરિક મર્યાદા ના લીધે કે બીજા કોઈ કારણ સર એ બધું આ કાલ્પનિક ભગવાન જોડે કરાવી લે.માનો કોઈ પશુ ને કુદરતે બ્રેન આપ્યું હોત અને એ એના ભગવાન ની કલ્પના કરે તો?ભગવાન ઘાસ ચરવા જાય.વાગોળે,અને ?કોઈ સિંહ ને બુદ્ધી આવી જાય ને ભગવાન ની રચના કરેતો?ડબલ સાઈઝ નો સિંહ હોય,ને હાથી એને ભગાડી મુકે છે એવું આ સિંહ ભગવાન આગળ ના થાય.બસ હવે વધારે કલ્પના નથી કરવા જેવી ખરુંને!સારું છે કે ગધેડા ને આવો વિચાર ના આવે.


*ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.

*નિરંજન ,નિરાકાર ભગવાન માં આકાર આવ્યો ક્યાંથી?એક બાળક નાના ઢીંગલા ઢીંગલી ને રમાડે,નવરાવે,ખવડાવે,ઊંઘાડે,ઉઠાડે,મારે પણ ખરા.તો પછી મોટા ક્યારે થવાનું?બાળક તો ઉંમર થાય એટલે બધું ભૂલી જાય કે આતો નાનપણ ની વાતો હવે ભૂલી જવાનું.પણ આતો મોટા જ ના થાય.મોટા થયા પછી બુદ્ધી બાળક બની જાય.જોકે ઉંમર ને અને બુદ્ધી ને શું લાગે વળગે?આમેય ઘડપણ માં બુદ્ધી તો નાસવાની જ છે ને,સાઠે બુદ્ધી નાઠે,આજરા વહેલી નાઠે.પણ હતીજ ક્યાં તે નાઠે?પણ તમને પુખ્ત થવા દે તો એમનો ધંધો કઈ રીતે ચાલે?ના સમજ્યા?ગુરુઓનો ધંધો,આપણામાં બુદ્ધી હોય તો લાઈન માં ને ભીડ માં મરવા શું કામ જઈએ?

*બધા કહેશે આપણો ધર્મ વૈદિક ધર્મ,અમે વૈદિક ધર્મ નો ડંકો દુનિયા માં વગાડીએ છીએ.એક વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓનું મોઢું પણ નજોઈએ,નર્ક માં જવાય.અને બીજો વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓ જોડે જલસા કરવાના.અરે અમે જ તો કૃષ્ણ છીએ,મુરખો બધું કૃષ્ણ(અમને) ને અર્પણ કરી ને ખાવ કે વાપરો,એમાં તમારી સ્ત્રીઓ પણ આવી ગયી.અરે ભૂલ્યા દીકરીઓ પણ આવી ગઈ.એકજ ગુરુ ના બે ચેલા ,એક સ્ત્રીનું મોઢું ના જુવે ,બીજો સ્ત્રીઓને દીક્ષા આપે.ગુરુ ને કોણ પૂછે છે?ગુરુ પણ મૂળ ધર્મ ના સ્થાપક ની વાત જ ના માનતા હોય.ધર્મ શેના?ભૂલ્યો આ તો બધા વાડાઓ.પેલા કુવાના દેડકાની કવિતા કે વાર્તા હમણાતો વાંચી હતી.

*ચાલો બહુ ભોળા થવું એને ગામડાં માં મૂરખા કહે છે.અને ભોળા થવું પણ ભોટ ના થવું,એવું પણ ડાહ્યા લોકો કહે છે.તો ધોરાજી માં મંદિર ની ભીડ માં માર્યા ગયેલા બહુ ભોળા આત્માઓ ને પ્રભુ શાંતિ અર્પે,એવી ર્હદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ અને એમના બહુ ભોળા સબંધીઓને પ્રભુ સદબુદ્ધી અર્પે.ફરી જરા વધારે ભોળા ના બને એવી આશા રાખીએ.

જીવ ને બહુ ચચરે છે,આવું બધું લખતા.આંખમાં આંશુ સાથે ગુસ્સો તો એવો આવે છે કે અલ્યા ક્યાં ગઈ મારી તલવાર?મૂળ રાજપૂત નું લોહી ને.

તો વળી અમારો જુનો સાથી કચરો દોડતો આવ્યો,કહે બાપુ કાલે જ માળિયા માં ચડ્યો હતો બધું સાફ કરવા તો તલવાર હાથ માં આવી ,બાપુ બહુ કાટ ચડી ગયો છે.મેં કહ્યું એવું છે?હા હવે શું થાય વસ્તુ વપરાય ના તો કાટ જ ચડેને?સારું તો હવે લાવ કલમ.

No comments:

Post a Comment