Pages

Saturday, May 12, 2012

માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે??????


માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે??????
પૈસો પાપ છે. અતિશય ધન સારું નહિ. ધનિકને ઘણા દુખ હોય. પૈસા પાછળ ખરાબી આવે. ગરીબી મહાન. તુલસી હાય ગરીબ કી લોહા ભસમ હો જાય. ગરીબની હાય લાગી જાય. ગરીબ માણસ ચારિત્રવાન.ધનિક પાપી,ચરિત્રહીન. ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગશે, ખંડેરની કે મહેલની?? ભસ્મકણી ના લાધશે..આવી તો ઘણી ઘણી વાતો ભારતના મનમાં સમાયેલી છે. ગરીબીની મહાનતાની વાતો કરી કરીને એને ભારતના અચેતન મનમાં ઘુસાડી દીધી છે. ધન સારું છે. ધન વગર કોને ચાલે છે? ગરીબી પાપ છે. ગરીબી પાછળ ઘણા દુખ હોય છે, પણ અહીં તો દુઃખમાં પ્રભુ સાંભરે. દુઃખમાં બીજું યાદ પણ શું આવે? બચાવો બચાવોના નારા લગાવવાની આદત પડી ગઈ છે. તમામ પ્રાર્થના અને ભજનોમાં ભગવાન બચાવે તેવું જ હોય છે. ભગવાન દુઃખ દૂર કરે. માટે જ મને ભજનો  ગમતા નથી. એમાં ભીખ માંગવા સિવાય હોય છે શું? કાંતો કાલ્પનિક ભગવાનના રંગ અને રૂપના વર્ણન હોય છે, બીજું હોય છે શું??
 ભજગોવિંદમમાં શંકરાચાર્ય એવું જ કહે છે કે ધનને હંમેશા ખરાબ ગણો, પાપ ગણો, એનાથી તસુભાર પણ સુખ ના મળે, આ વાત બધે અને કાયમની છે. હવે શંકરાચાર્યની વાત કોણ નહિ માને? આપણાં પોતાના અને પોતાના કુટુંબ માટે ધન  જરૂરી જ છે. ધન વગર ચાલતું નથી, છતાં ગરીબી થી છૂટવાનું મન થાય નહિ, કારણ ગરીબીની મહાનતા અચેતન મનમાં સદીઓથી ઘુસાડી દીધી છે. એના લીધે કમાવાનું મન જ થાય નહિ. કોઈ મોટિવેશન જ મળે નહિ. હંમેશા ધાર્મિક મહાપુરુષો મહત્વાકાંક્ષાને વખોડતા હોય છે. એનાથી દુઃખ વધે. ધ્યાન લાગે નહિ. મેડીટેશનમાં તકલીફ થાય. હવે એજ ગુરુઓ ધનમાં આળોટતા હોય છે. એક પરિવારના કહેવાતા મહાપુરુષ સાવ નાનકડા બગીચામાંથી કથા કરતા કરતા ૪૦૦ કરોડ કરતા પણ વધુ મિલકતના સ્વામી બની ગયા હતા. અને એમણે એમના ધાર્મિક પરિવારને સરસ સૂત્ર આપેલું, ”ચાલશે, ફાવશે, દોડશે. ” મૂરખ લોકો ઘરના શિંગચણા ખાઈને એમના પરિવારને ઉંચો લાવવા મથીને પાપ દૂર કરતા હતા. 
મારા એક મિત્ર વડોદરાના પ્રદીપ પટેલ વર્ષો પહેલા આ પરિવારના કોઈ ધાર્મિક ફંકશનમાં ચાણોદ ગયેલા. ત્યાં એક હવનકુંડ હતો. વ્યર્થ લાકડા અંદર સળગતા હતા. આજે જ્યારે ભારતમાં જંગલો રહ્યા નથી, એના ખરાબ પરિણામ ભોગવી રહ્યા છીએ ત્યાં આ યજ્ઞોની શું જરૂર છે? વાત એવી હતીકે પેલાં યજ્ઞ કુંડમાં બધા કાગળ  હોમતા હતા. વળી પાછો એક વૃક્ષનો નાશ કાગળ રૂપે. મારા મિત્રે તપાસ કરી કે આમાં કોઈ હવન સામગ્રી હોમતા નથી ને લખેલા કાગળિયા કેમ હોમતા હશે?? જાણવા મળ્યું કે પોતે કરેલા પાપ લખીને આ યજ્ઞકુંડમાં હોમી દેવાથી પાપનો નાશ થઈ જાય છે. કર્મનો નિયમ ગયો ભાડમાં, મારા મિત્ર ને થયું ચાલ આજે સારો ચાન્સ મળ્યો છે ભૂલમાં કરેલા પાપ બળી જશે. મૂળ તો ખેતી કરતા, કોઈ કહેવાતું પાપ કરે તેવા નથી, પણ ભૂલમાં થયું હોય તો આજે બાળી નાખીએ, સમજી કાગળમાં લખીને નાખવા ગયા તો રોકવામાં આવ્યા કે તમે આ પરિવારના રજિસ્ટર્ડ સભ્ય નથી માટે અહીં પાપ બાળી નહિ શકો. બોલો હવે શું કહીશું?? હંમેશા ગીતા, ઉપનિષદ ઉપર પ્રવચનો આપતા મહાપંડિત ગણાતા આ ક્ષુદ્ર ગુરુને પણ ધન વગરતો ચાલ્યું જ નથી. સાદગીનો મહાન સંદેશ ”ચાલશે, ફાવશે, દોડશે” આપનારા ગુરુઓના રાજમાં ધનના ઢગલા થતા હોય છે.
         ગાંધીજીએ પણ એક મહાન ભૂલભરેલો શબ્દ ઠોકી બેસાડ્યો  ‘દરિદ્ર નારાયણ’..દરિદ્રતા દૂર કરવાનું મન જ ના થાય. સાથે નારાયણ પણ દૂર થઈ જાય ને!!!!મૂળ હિંદુ ધર્મમાં  જુઓ નારાયણ તો કેટલા બધા પૈસાવાળા દેખાય છે?? ધનની દેવી લક્ષ્મી એમના પગ દબાવે છે કે નહિ? ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્યવાન..દરિદ્ર  કદી નારાયણ ના બની શકે. પછી કુંવરબાઈનું મામેરું કેમનું ભરાશે? હૂંડી કોણ સ્વીકારશે જો નારાયણ દરિદ્ર હશે તો????માટે નારાયણ તો ધનિક જ સારો. તમતમારે દરિદ્ર રહો નારાયણને શું કામ દરિદ્ર બનાવો છો?  દરિદ્રતા પાપ છે. પાપનું મૂળ છે. દુઃખનું કારણ છે.
       આ ધને વખોડવાની નીતિને લીધે આપણે  દેશને  poorest દેશોની હરોળમાં બેસાડી દીધો છે. આ નીતિને લીધે ધન કમાવાની ઇચ્છા જ મારી નાખી છે. અને જે માણસ પુષ્કળ ધન કમાઈ લે તે પણ અંદરથી પોતાની જાતને ગિલ્ટી ગણતો થઈ જતો હોય છે. પછી ગુરુઓની પાછળ દોટો મૂકતો થઈ જાય છે. એકવાર ધન કમાઈ લીધું પછી એમાંથી મળેલા પાપને ભૂસવા ગુરુઓ  પાછળ ફરતો કરી દે છે. એ કોઈ રિસર્ચ કરવા પૈસા નહિ વાપરે પણ ગુરુને મંદિર બનાવવા બ્લેન્ક ચેક આપશે. વડોદરાની ગલીઓમાં કથા કરી ખાતા એક હાલના નવા ઊંચે ચડી રહેલા કથાકારને મેં ઓચિંતાં ધીરુભાઈ અંબાણીના મ્રત્યુ પ્રસંગે ટીવીમાં એમના ઘરમાં જોયા ત્યારે નવાઈ લાગેલી. આજે તો પત્નીને પૈસા આપી તગેડી(ડિવોર્સ) મૂકી, સૌરાષ્ટ્રમાં  કોઈ મોટું ગુરુકુળ બનાવી બેઠાં છે. નીતા અંબાણી પણ ધંધામાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટી બન્યા છે.
    હા!! પૈસા થી સગવડ ખરીદી શકાય છે, સુખ નહિ. પણ ગરીબીમાં શું ખરીદી શકશો??ના સુખ, ના સગવડ..સુખતો મનમાં હોય છે, પણ જ્યારે પૈસો નથી હોતો ત્યારે મનમાંથી સુખ પણ જતું રહે છે. ધર્મોએ હંમેશા ગરીબી વખાણી છે. શ્રદ્ધાના પાયા પર રચાયેલી ભારતની ગરીબી દૂર કરવી ભગીરથ કાર્ય છે. પણ ભૂખે ભજન ના થાય ગોપાલા.

1 comment:

  1. ગરીબી નો મહિમા ગાવા પાછળનું કારણ પોતાની જાતને દિલાસો છે, અને પોતે ગરીબ છે એટલે ભગવાન ને પ્રિય છે એવું જાતે જ જાહેર કરેલું છે, જયારે તક મળે ત્યારે પૈસા કમાઈ લેવા અને ગમે તે રસ્તે મેળવી લેવા ની ભાવના તો છે જ, ભગવાન ને છોડી દેવાની મનોવૃત્તિ તો છે જ, અને સંખ્યા વધુ હોવાથી બધા ભેગા મળી ને અવાજ કરે એટલે અવાજ મોટો લાગે છે,
    અમીરી અને ગરીબી બંને સાપેક્ષ છે, એક જમાનામાં જયારે સરેરાશ કૌટુંબિક આવક ફક્ત 2000 રૂપિયા/વાર્ષિક હતી ત્યારે લાખ રૂપિયા ની આવક વાળો અમીર કહેવતો હતો, હાલ જયારે એ જ આવક 50000/- રૂપિયા થઇ છે ત્યારે 1 લાખની આવક વાઉ કુટુંબ નિમ્ન મધ્યમ વર્ગમાં આવે છે અને કરોદાધીપતિઓ પણ અમીર કહેવાય કે કેમ તે શંકા છે, જયારે અર્થતંત્ર ચેતનવંતુ હોય ત્યારે ગરીબ રહેવા પાછળના કારણો શોધવા પડે અમીરોને ગાળ દેવાનો કોઈ અર્થ નથી,
    આજના સમયમાં ગરીબીના રોદણાં રોવા એક દેખાડો જ છે, શ્રમ વગરનો પૈસો મેળવવા માટે ગરીબ રહો તે જુદી વાત છે,

    શ્રી ઉમાશંકર જોશીએ જયારે જઠરાગ્ની કાવ્ય લખ્યું ત્યારે જમીનદારી અને ખેતી પર નભતી વસ્તી ઘણી હતી તદુપરાંત રોજી આપવી કે ન આપવી/ ખેતી કરવા દેવી કે નહિ એ અંગે ના નિર્ણયો જમીનદાર/ ઈનામદાર જેવા કેન્દ્રો પાસે જ હતી, તે જમાનામાં સાચું હતું કે "ભૂખ્યા જનોનો ------------ખંડેરની ભસ્મકની ન લાધશે," જયારે આજે પરિસ્થિતિ તદ્દન વિરુદ્ધ છે અને એ કાવ્ય આજે અપ્રસ્તુત છે, સિવાય કે ભૂખ્યાજન ની મહેનત કરવાની તૈયારી ન હોય,

    આપનું આ વિષય માં ખુબ ઊંડું મનન છે તે જણાય છે ભુપેન્દ્રભાઈ, આભાર,

    ReplyDelete